Monday, 23 May 2016

અમે ભારતીય.. અને આ ભારત !




હું કોઈ દેશ ફર્યો નથી કે કોઈ વિદેશી પ્રજા વચ્ચે રહ્યો પણ નથી, તેમ છતાં આટલા મીડિયા, અખબારો અને સમાચારો, આટલા વિશાળ અને માહિતીસભર માધ્યમો પરથી એટલું જરૂર કહી શકું કે દેશવાસીઓમાંથી મોટાભાગના માટે દેશ પ્રથમ સ્થાન પર નથી. સાંપ્રત બનાવો હોય, જેએનયુ ની ઘટના હોય, હનુમંતપાની ઘટના હોય, અફ્ઝલગુરુ ની ફાંસીનો વિરોધ હોય કે બીજું ગમે તે હોય પણ એક તો લાગ્યું જ છે કે દેશમાટે સૌથી ઓછી જો કોઈ પ્રજાને લાગણી હોય તો તે ભારતીયોને છે. શાહબુદ્દીન રાઠોડ ખુબ જ કડવું સરસ અને કડવું સત્ય મજાકના મૂળ માં કહી દે છે કે આ દેશની પ્રજા દેશને વફાદાર નથી પરંતુ પગારને વફાદાર છે. જલિયાવાલાબાગ હત્યાકાંડ વખતે જનરલ ડાયરે તો માત્ર આદેશ આપ્યો'તો અમલ તો ભારતીય રેજીમેન્ટએ કરેલો. આ ઘટના પરથી ખબર પડે છે કે આટલા કરોડની વસ્તી ધરાવતા દેશ પર કોઈ સત્તા ૨૦૦ વર્ષ સુધી રાજ કેમ કરી શકે ?

નાગરિક ફરિયાદ કરે છે, વીજળી નથી, રસ્તા નથી, પાણી નથી, ટ્રાન્સપોર્ટેશન નથી, ફેસેલીટી નથી, મોંઘવારી વધી છે, ટ્રાફિક છે, સરકારી ખાતું ભ્રષ્ટાચાર કરે છે, શિક્ષણનું સ્તર કથળ્યું છે, સુરક્ષા નથી, ગંદકી છે, ..... અને હજી તો ઘણું બધું. બરાબર છે. બધી જ ફરિયાદો યોગ્ય છે. ફરિયાદ કરવાને યોગ્ય છે, કરવી જ જોઈએ પણ..

( જો સાચું બોલવાનું શરુ કરીએ તો લોકો તરત જ ખોટું લગાડશે - એમ હવે પછી જે લખ્યું છે એમાં આવું ખોટું લાગી શકે એવું નગ્ન સત્ય છે )

આપણામાંથી કેટલા ઈલેક્શનકાર્ડ ધરાવતા પ્રબુદ્ધ નાગરિકો રસ્તા પર કચરો  ફેંકતા નથી?
દેશના એવા કેટલા લોકો હશે જે રોડ પર થુકતા નથી?
ઘરે પાણી આવ્યું હોય ત્યારે જરૂર ના હોય તેવું પાણી નળ બંધ કરીને સાચવવાના બદલે રસ્તા પર ના ઢોળતા હોય એવા કેટલા?
કેટલા વિદ્યાર્થીઓ એવા છે જે ક્લાસ પૂરો થાય ત્યારે લાઈટ અને પંખા બંધ કરવાનું સૌજન્ય દાખવે છે?
જ્યાં સીટીબસ સેવા ચાલુ છે ત્યાં કારણ વગર એક રિક્ષામાં ૭ -૭ જવાને બદલે ઘર થી ૧૦ મિનીટ દુર સિટીબસ સ્ટેશન સુધી જવાની તૈયારી કેટલાની ?
કેટલા લોકો એવા છે કે જેમને અથવા તો એમના પરિવાર દ્વારા  પોતાના અંગત કામ માટે આજ સુધી એક પણ સીધો કે  આડકતરો ભ્રષ્ટાચાર નથી કર્યો?
અનામત આંદોલન વખતે જે જાહેર અને સરકારી સંપતિને નુકસાન થયું એ કરવા વાળા શું પાકિસ્તાન થી આવ્યા'તા ?
એ આપણા જ હતા ...
કેટલી મમ્મીઓએ પોતાના સંતાનો ને જનગણમન અને વંદે માતરમ શિખવાડ્યુ છે ?
આપને કહીએ છીએ કોઈ કાર્યક્રમ લખેલા સમયે શરુ નથી થતા, બરાબર છે ... આપણે કેટલા કાર્યક્રમમાં લખેલા સમયે પહોચ્યા?

આ દેશના નાગરિકો અને સમાજમાંથી દેશદાઝનો પોટેન્સિયલ ઘટતો જાય છે. એટલે જ લોકો ખુબ જ આસાનીથી બ્રેઈનવોશ થાય છે ગંગાનું પ્રદુષણ રોકવાની મુહિમમાં પદયાત્રા કરતુ ટોળું પોતે જ ગંગાઆરતી  કર્યા બાદ ફૂલ, શ્રીફળ, ઘી ની વાટ, અને બીજું કેટલુય ગંગામાં પધરાવે છે એ શું  પ્રદુષણ નથી કરતુ ?
ગૌરક્ષકો રસ્તામાં કોઈ ગાય હડફેટે ચડશે તો તરત બૂમ-બરાડા અને હો-ગોકીરો કરશે પણ જો એ લોકો ને એમ કહેવામાં આવે કે દરેક લોકો એક એક ગાય પાળી લ્યો તો એમના ચહેરાની ભૂગોળ બદલી જશે.
આવું તો કેટલુય છે..

દંભની પરાકાષ્ઠા માં જીવતા અને ખુદને આદર્શ માનતા આ દેશના લોકો ખરેખર હદપાર કરીને જીવે છે.
સત્ય સાંભળી શકે એટલી મર્દાનીથી જીવે તો દેશની ચિંતા ના કરવી પડે. અશોક દવે કહે છે એમ બે વર્ષમાટે સમગ્ર દેશના બધા જ ધર્મ પર પ્રતિબંધ લગાવીને માત્ર રાષ્ટ્રવાદ શિખવવાની તાતી જરૂર છે. તિરંગા માટે ગર્વ હોવો જોઈએ દેખાડો નહિ ...




1 comment:

  1. very good dear ... happy to see this, there is a drastic change in your writing and its good.

    And one more thing, apla desh ma loko 2 j vastu thi kam kri ske: 1) lalch 2) Dar.

    kyarek to v4 ave 6e k loko pr rajashahi j brabr hti, dar hoy to j aplo desh chale em 6e.

    ReplyDelete