Monday, 23 May 2016

અમે ભારતીય.. અને આ ભારત !




હું કોઈ દેશ ફર્યો નથી કે કોઈ વિદેશી પ્રજા વચ્ચે રહ્યો પણ નથી, તેમ છતાં આટલા મીડિયા, અખબારો અને સમાચારો, આટલા વિશાળ અને માહિતીસભર માધ્યમો પરથી એટલું જરૂર કહી શકું કે દેશવાસીઓમાંથી મોટાભાગના માટે દેશ પ્રથમ સ્થાન પર નથી. સાંપ્રત બનાવો હોય, જેએનયુ ની ઘટના હોય, હનુમંતપાની ઘટના હોય, અફ્ઝલગુરુ ની ફાંસીનો વિરોધ હોય કે બીજું ગમે તે હોય પણ એક તો લાગ્યું જ છે કે દેશમાટે સૌથી ઓછી જો કોઈ પ્રજાને લાગણી હોય તો તે ભારતીયોને છે. શાહબુદ્દીન રાઠોડ ખુબ જ કડવું સરસ અને કડવું સત્ય મજાકના મૂળ માં કહી દે છે કે આ દેશની પ્રજા દેશને વફાદાર નથી પરંતુ પગારને વફાદાર છે. જલિયાવાલાબાગ હત્યાકાંડ વખતે જનરલ ડાયરે તો માત્ર આદેશ આપ્યો'તો અમલ તો ભારતીય રેજીમેન્ટએ કરેલો. આ ઘટના પરથી ખબર પડે છે કે આટલા કરોડની વસ્તી ધરાવતા દેશ પર કોઈ સત્તા ૨૦૦ વર્ષ સુધી રાજ કેમ કરી શકે ?

નાગરિક ફરિયાદ કરે છે, વીજળી નથી, રસ્તા નથી, પાણી નથી, ટ્રાન્સપોર્ટેશન નથી, ફેસેલીટી નથી, મોંઘવારી વધી છે, ટ્રાફિક છે, સરકારી ખાતું ભ્રષ્ટાચાર કરે છે, શિક્ષણનું સ્તર કથળ્યું છે, સુરક્ષા નથી, ગંદકી છે, ..... અને હજી તો ઘણું બધું. બરાબર છે. બધી જ ફરિયાદો યોગ્ય છે. ફરિયાદ કરવાને યોગ્ય છે, કરવી જ જોઈએ પણ..

( જો સાચું બોલવાનું શરુ કરીએ તો લોકો તરત જ ખોટું લગાડશે - એમ હવે પછી જે લખ્યું છે એમાં આવું ખોટું લાગી શકે એવું નગ્ન સત્ય છે )

આપણામાંથી કેટલા ઈલેક્શનકાર્ડ ધરાવતા પ્રબુદ્ધ નાગરિકો રસ્તા પર કચરો  ફેંકતા નથી?
દેશના એવા કેટલા લોકો હશે જે રોડ પર થુકતા નથી?
ઘરે પાણી આવ્યું હોય ત્યારે જરૂર ના હોય તેવું પાણી નળ બંધ કરીને સાચવવાના બદલે રસ્તા પર ના ઢોળતા હોય એવા કેટલા?
કેટલા વિદ્યાર્થીઓ એવા છે જે ક્લાસ પૂરો થાય ત્યારે લાઈટ અને પંખા બંધ કરવાનું સૌજન્ય દાખવે છે?
જ્યાં સીટીબસ સેવા ચાલુ છે ત્યાં કારણ વગર એક રિક્ષામાં ૭ -૭ જવાને બદલે ઘર થી ૧૦ મિનીટ દુર સિટીબસ સ્ટેશન સુધી જવાની તૈયારી કેટલાની ?
કેટલા લોકો એવા છે કે જેમને અથવા તો એમના પરિવાર દ્વારા  પોતાના અંગત કામ માટે આજ સુધી એક પણ સીધો કે  આડકતરો ભ્રષ્ટાચાર નથી કર્યો?
અનામત આંદોલન વખતે જે જાહેર અને સરકારી સંપતિને નુકસાન થયું એ કરવા વાળા શું પાકિસ્તાન થી આવ્યા'તા ?
એ આપણા જ હતા ...
કેટલી મમ્મીઓએ પોતાના સંતાનો ને જનગણમન અને વંદે માતરમ શિખવાડ્યુ છે ?
આપને કહીએ છીએ કોઈ કાર્યક્રમ લખેલા સમયે શરુ નથી થતા, બરાબર છે ... આપણે કેટલા કાર્યક્રમમાં લખેલા સમયે પહોચ્યા?

આ દેશના નાગરિકો અને સમાજમાંથી દેશદાઝનો પોટેન્સિયલ ઘટતો જાય છે. એટલે જ લોકો ખુબ જ આસાનીથી બ્રેઈનવોશ થાય છે ગંગાનું પ્રદુષણ રોકવાની મુહિમમાં પદયાત્રા કરતુ ટોળું પોતે જ ગંગાઆરતી  કર્યા બાદ ફૂલ, શ્રીફળ, ઘી ની વાટ, અને બીજું કેટલુય ગંગામાં પધરાવે છે એ શું  પ્રદુષણ નથી કરતુ ?
ગૌરક્ષકો રસ્તામાં કોઈ ગાય હડફેટે ચડશે તો તરત બૂમ-બરાડા અને હો-ગોકીરો કરશે પણ જો એ લોકો ને એમ કહેવામાં આવે કે દરેક લોકો એક એક ગાય પાળી લ્યો તો એમના ચહેરાની ભૂગોળ બદલી જશે.
આવું તો કેટલુય છે..

દંભની પરાકાષ્ઠા માં જીવતા અને ખુદને આદર્શ માનતા આ દેશના લોકો ખરેખર હદપાર કરીને જીવે છે.
સત્ય સાંભળી શકે એટલી મર્દાનીથી જીવે તો દેશની ચિંતા ના કરવી પડે. અશોક દવે કહે છે એમ બે વર્ષમાટે સમગ્ર દેશના બધા જ ધર્મ પર પ્રતિબંધ લગાવીને માત્ર રાષ્ટ્રવાદ શિખવવાની તાતી જરૂર છે. તિરંગા માટે ગર્વ હોવો જોઈએ દેખાડો નહિ ...




Monday, 16 May 2016


મારી  બહેના ...



પ્યારનો પમરાટ ઘૂઘવતો સ્નેહનો સાગર,
મુખડું જોતા જ થાય સંતોષ એવી મીઠા પાણીની ગાગર..

રેશમી તાંતણો હદયના હેતથી બાંધી માંગતી અખંડ રક્ષા,
સલામતીની ફોજ કરતા આપતી મૂંગા મોઢે સુરક્ષા...

નાનકડી એ પરી લાગતી નિર્દોષ ભગવાનની મુરત,
જોઇને હૈયામાં હરખ ઉમટે એવી વ્હાલની પ્યારી સૂરત...

ભઈલાને કાંઈ થાય તો કરતી ઉપાયની શોધ,
ના મેળ આવે તો પ્રભુજી પર કરે ક્રોધ....

રીસે ચડીને, મોં ફુલાવી, એ આંખોથી કતરાતી,
ભઇલો જરા પ્રેમથી મનાવે તો એ મુખેથી મલકાતી...

ચમકતું મુખડું એનું અને હોઠ બોતેર ગાઉની હસી,
સ્મરણ થાય ઈશ્વરનું ત્યાં તો મારી બેના નજરમાં વસી....  

થોડુક પ્રણવ માટે ...

પ્રણવ ધોળિયા ...

૨૩ વર્ષનો છું .  જિંદગીના રંગો ને માણવાની વૃતિ થવી સ્વાભાવિક છે. અનેક લોકો ને જીંદગીમાં નજીકથી જોયા છે. એકાદ વ્યક્તિએ જિંદગીના રંગોને માણવાનું સુચન કર્યું અને અચાનક જિંદગી રંગીન બની. આવું  થતું હોય છે . થોડીક આળસ, જાજી વ્યસ્તતા, સમયનો મને લાગતો અભાવ આ બ્લોગને થોડો  મોડો શરુ થવા પાછળ જવાબદાર  છે. આ બ્લોગ પર સતત સિદ્ધાંતવાદી વાતો ને બદલે એવી વાતો કદાચ વધુ થશે જે સ્વીકૃત હોય. મને એકવિધતા ઓછી પસંદ છે. મારી પસંદગી બદલાતી રહે છે. અવનવા કલર્સ , અલગ અલગ મુદ્દાઓ , વિવિધ સ્થળો, વિવિધ વાતો, અનેક મિત્રો, અનેક ઘટનાઓ અને હું ... એટલે જ સ્તો આ બ્લોગ નું નામ મેઘધનુષ્યના રંગો એવું રાખ્યું છે. બહુ ડાહી ડાહી વાતો કરવી અને પછી એ કોઈ વાત નું પાલન લેશમાત્રના કરવું એના કરતા થોડીક ભૂલો, થોડીક પરેશાની, થોડીક આક્રમકતા, થોડાક જઝબાત સાથે જીવવું મને અત્યંત પસંદ છે. જીંદગીમાં બનતી ઘટનાઓ કાયમી નથી આ વાક્ય છેલ્લા એક વર્ષમાં અનુભવની એરણ પર શીખ્યો છું, માટે કોઈ ઘટના મને ખુબ ચિંતા કરાવી શકે એવી શક્યતા ખુબ ઓછી છે. વાંચવું, ફરવું અને લખવું ખુબ પસંદ છે. કોઈ પણ કાર્ય કરતી વખતે ખુબ મહેનત કરવી અને જાત મહેનત કરવી એ હું અંગતપણે માનું છું કેમ કે જયારે પણ વ્યક્તિ પોતાના ભાગે આવેલું કાર્ય કોઈપણ રીતે ટાળે ત્યારે એ શિખવાની એક તક ગુમાવે છે. શાહબુદ્દીન રાઠોડ, જય વસાવડા, ચંદ્રકાંત બક્ષી, અશ્વિની ભટ્ટ, નગીનદાસ સંઘવી, ભાગ્યેશ જહા, કાજલ ઓઝા વૈધ મારા પસંદગીના લેખકો રહ્યા છે. અ બ્લોગની શરૂઆત બે વર્ષ પહેલા મારી અત્યંત લાડકી બહેના માટે લખેલી એક નાનકડી રચના થી કરી રહ્યો છું. અમુક લોકો ખુબ અંગત અને ખુબ વ્હાલા છે. ઘણી વાતો અને વિચારો શેર કરશું ...
મળતા રહેશું ... 
લિ. આંખોમાં જીવવાના સપના સાથે જીવતો પ્રણવ ..