Monday, 17 July 2017

પ્રણવની નજરે પાટણ

ગુજરાતને ગુજરાત નામ મળ્યા પછી તેનું પહેલું પાટનગર એટલે પાટણ પાટણ તેની સ્‍થાપના બાદ ૧૪મી સદી સુધીનાં લગભગ ૬૫૦થી વધુ વર્ષ પર્યંત ગુજરાતનું પાટનગર રહેલું. સોલંકી રાજવીઓની રાજધાનીનું આ નગર-પાટણ એક કાળે વિસ્‍તારમાં અને વૈભવમાં, શોભામાં અને સમૃદ્ધિમાં, વાણિજ્ય, વીરતામાં ને વિદ્યામાં, તે કાળના ધારા-અવંતી જેવી શ્રી, સરસ્‍વતી અને સંસ્‍કારલક્ષ્‍મીથી સમૃદ્ધ નગરીઓની સ્‍પર્ધા કરતું પાટણ ભારતવર્ષમાં પ્રસિદ્ધ હતું.

સિદ્ધરાજ જયસિંહ એ સોલંકીયુગનો એક પ્રતાપી રાજવી અને એની નગરી એટલે પાટણ નગરી. ગઈકાલે અનાયાસે આ નગરી જોવાનું થયું. સાત દ્વારથી સુરક્ષિત આ નગરીની દિવાલો આજે પણ પ્રસ્તુત છે. જીર્ણ હાલતમાં પણ સક્ષમ ઉભેલી જોતા સમજી શકાય કે ઈમારત કેટલી ભવ્ય હશે. શહેર નાનું  છે પણ કળા સ્થાપત્યના ઉત્તમ નમુના સાચવીને બેઠેલું છે. પાટણ પ્રખ્યાત છે પટોળા અને રાની કી વાવ માટે.

અગિયારમી સદીના અંતિમ ભાગમાં રાજા ભીમદેવની રાની ઉદયમતીએ આ વાવ બંધાવેલી. આ વાવમાં વિશાળ કુવો અને પાણી સંગ્રહ કરવા માટે વિશાળ કુંડ છે. વાવનું નકશીકામ બેનમુન છે. દરેક દિવાલો પૌરાણિક પ્રતિમાઓથી સજ્જ છે. પાર્વતી, શિવ, મહિષાસુરમર્દિની, ભૈરવ, ગણેશ, સૂર્ય, કુબેર જેવી અનેક મૂર્તિઓ આ વાવનું સૌન્દર્ય વધારે છે. કેટલાય વર્ષો સુધી આ વાવ જમીનમાં દટાયેલી રહી તેમ છતાં આજે પણ એ જોવાલાયક અને માણવાલાયક રહી છે. સરસ્વતી નદીના પૂર્ણ લીધે વાવની ઈમારત નુકશાન પામી હતી. ૧૯૬૮માં આ વાવનું ઉત્ખનન કરવામાં આવ્યું અને એક પૌરાણિક અને વાસ્તુશિલ્પના ઉત્તમ નમુનાસમ આ વાવ ગુજરાતને મળી. આ વાવમાં જે શિલ્પ કે કોતરણી કરવામાં આવી છે એ એક જ પથ્થરમાંથી કરવામાં આવેલી છે.


સંપુર્ણ રાણીની વાવ ઇન્દ્રલોક જેવી છે. જે રીતે સ્વર્ગના રાજા ઇન્દ્ર અપ્સરા અને સુંદરીઓ સાથે હોય એમ જ અહિ શિલ્પોમાં છે. કામસૂત્રના ઉત્તમ નમુનાની આ મૂર્તિઓ  જોઇને આજનું સેન્સર બોર્ડ તો મૂર્તિઓને કપડા પહેરાવે .નૃત્ય કરતી, હાથમાં કમળ લઈને ઉભેલી, પગમાં ઘૂંઘરું બાંધતી, આંખોમાં કાજલ કરતી, સ્નાન કરીને વાળ સુકાવનારી, વેણુવદન કરતા મગ્નદેખાતી, પ્રેમીની દાઢી ખેંચતી, હોઠ પર લાલી લગાવતી, પગમાંથી કાંટો કાઢતી નારીઓના શિલ્પો અપ્રતિમ સુંદરતા ધરાવે છે. કેટલીય પ્રતિમા અને એમાં નારીના દેહના ઉન્નત ઉરજો, લચકતી કમરની, નખરાળા નેણ, શરીરના માદક વળાંકોની   અંગભંગીમા જોઇને કામસૂત્ર ગુજરાતની જ દેન હોય એવું સાબિત થતું જણાય.
એક સુંદર અપ્સરાની સુંદરતા જોઇને વાનર એના અધો:વસ્ત્રને (નીચે પહેરેલા વસ્ત્રો) ખેંચે છે અને આ છેડછાડથી બચવા એક હાથે વસ્ત્ર પકડી રાખીને સતી બીજા હાથે વનર ભગાવે છે.

એ જ રીતે સારી પર વીંછી ચડતા અધો:વસ્ત્રને છોડતી સ્ત્રી દર્શાવેલી છે. હાથમાં આરતી, શંખ પકડેલી, કેરીને તોડીને પક્ષીઓને દેખાડતી અને પોતાના નિ:વસ્ત્ર અને કામણગારા દેહસ્વરૂપને જોઇને લજ્જાથી આંખો ઝુકાવતી સ્ત્રીઓની પ્રતિમા જોઈએ તો જાણે લાગે મદમસ્ત યુવાનીનો ઉત્સવ ઉજવાતો એ વખતે પણ. 



મધ્યયુગમાં જેનો ઉલ્લેખ થયો છે એવી દુશ્મનોને મારવા જેનો ઉપયોગ કરાતો એવી વિષકન્યાઓની નગ્ન મૂર્તિઓ પણ આ વાવની શોભા વધારે છે. વિષકન્યાના ગાળામાં ફક્ત નાની માળા, બંને બાહુમાં બાજુબંધ, કંકણ અને બંને પગમાં નુપુર છે. આખા દેહ પર એક પણ વસ્ત્ર નથી, કદાચ એ શિલ્પકાર ઈચ્છતો જ નહિ હોય કે આવું સૌન્દર્ય જરા પણ છાનું રહે.

હવે વાત છે પટોળાની.
છેલાજી પાસેથી જે માગણી ગુજરાતી ગીત દ્વારા થઇ છે એ જ પાટણના પટોળા.
સાલવી પરિવાર એકમાત્ર હવે ઓથોરીટી છે. આ બેનમુન કલાને સાચવવાની જવાબદારી એમની અને એમના પરિવારની છે. “ઘણા ખરા દેશના લોકોએ આ કલાની કોપી કરવાની મહેનત કરી છે પણ એમને સફળતા નથી મળી પટોળા બનાવવામાં.” એવું સાલવીભાઈ એમની સાથેની વાતોમાં કહે છે.  આખું પટોળા હાઉસ એ ખુબ રસપૂર્વક બતાવે છે સાથે સાથે દરેકની વિશેષતા અને ખાસિયત પણ જણાવતા જાય છે. અલગ અલગ એક્સિબિશનમાં મળેલી સરાહના અને એમના પ્રમાણપત્રો “પાટણ હાઉસ”માં બરાબર સચવાયા છે. પટોળા હાઉસમાં એક લાખ થી માંડીને કરોડો સુધીના પટોળા બને છે. ચાર કરીગરોભેગા થઈને લગભગ છએક મહિનામાં એક પટોળું પૂરું કરી શકે છે. આવું સૌથી વધુ કિમતી પટોળું ૨૦૦૩માં આ સાલવી પરિવારે કરેલું છે. કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય એ લખેલો “સિદ્ધહેમશબ્દનુશાસન” હાથીની અંબાડી પર આખા પાટણની નગરયાત્રામાં પ્રસ્તુત થયો’તો એ શબ્દચિત્ર પટોળા પર વ્યક્ત થયું છે, એ પટોળું પણ જોયું. ત્યાં ફોટો પડવાની મનાઈ હતી છતાં વિનાયક ભાઈને પૂછીને હાલ જે પટોળું બનતું હતું એ નજરે જોયું અને કેમેરે કંડાર્યું. ઢાકાનું મલમલ જે એટલું બારીક અને રેશમી હતું કે એક નાની માચીસના બોક્ષમાં સામાય જાય અને વીંટીની આરપાર નીકળી શકે એ પણ વિનાયક ભાઈએ પ્રેમથી બતાવ્યું અને બધી માહિતી પણ આપી.
આ આખી મોજ માટે બપોરે ૪૩ડિગ્રીના બળતા બપોરે ૩ વાગે જે સાથે રહ્યો એ પાટણ ગવર્નમેન્ટ એન્જીનીયરીંગ કોલેજનો વિદ્યાર્થી અપૂર્વ પટેલનો આભાર. આવું ઘણુય ફરવું છે, કેટલુય જોવું છે, સફર અને સફરનો આનંદ માણવાની મજા જ અલગ છે. ખુબ મજા પડી પાટણની  હવા ને શ્વાસમાં ભરીને  માણવાની, પટોળા અને એ પટોળા જેના પર જાજરમાન લાગે એવા નારીસૌન્દર્યના શિલ્પોને જોવાની.
-     
      પ્રણવ ધોળિયા (૧૬-૦૫-૨૦૧૭,૧૬:૩૬)
 --ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા,
   જંગલની કુંજકુંજ જોવી હતી;
   જોવી'તી કોતરો ને જોવી'તી કંદરા,
   રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી

     કવિ શ્રી ઉમાશંકર જોષી

No comments:

Post a Comment